એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે સહાબા-એ-કિરામ (રઝિ.)ને સંબોધીને ફર્માવ્યું:
ألا أخبركم عن يوم أحد وما معي إلا جبريل عن يميني وطلحة عن يساري (المعجم الأوسط، الرقم: ٥٨١٦، المستدرك للحاكم، الرقم: ٥٦١٦)
શું હું તમને ગઝવા-એ-ઉહુદના દિવસની ખબર ન આપું; જ્યારે મારી જમણી બાજુએ જીબ્રીલ (અલૈહિસ્સલામ) સિવાય કોઈ નહોતું અને મારી ડાબી બાજુએ તલ્હા સિવાય કોઈ નહોતું.
ઉહુદની જંગમાં હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની જાંબાઝી
ગઝવા-એ-ઉહુદમાં હઝરત તલ્હા (રઝિ.)ની સાબિત-કદમી અંગે હઝરત સઈદ બિન અબી-વક્કાસ (રઝિ.)એ ફરમાવ્યું: અલ્લાહ તઆલા તલ્હા પર રહમ કરે. બેશક, તેઓએ ગઝવા-એ-ઉહુદ દરમિયાન રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ)ની અમારા બધા કરતા સૌથી વધુ મદદ કરી.
હઝરત સા’દ (રઝિ.)ને પૂછવામાં આવ્યું: હે અબૂ-ઈસ્હાક! અમને બતાઓ કેવી રીતે? (તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમની સૌથી વધુ મદદ કરી)
તેમણે જવાબ આપ્યો કે તેઓ હંમેશા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે રહ્યા; જ્યારે અમે જંગ દરમિયાન આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) થી દૂર થઈ ગયા હતા, પછી અમે પાછા આવ્યા. જ્યારે હું ફરીથી આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) પાસે આવ્યો, ત્યારે મેં જોયું કે તેઓ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ)ની સાથે હતા અને તેમણે આપ (સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ)ની સુરક્ષા માટે પોતાની જાતને ઢાલ બનાવી દીધી હતી.
હઝરત આઇશા (રઝિ.) એ ફરમાવ્યું:
જ્યારે પણ અબૂ-બક્ર (રઝિ.) ઉહુદના દિવસનો ઉલ્લેખ કરતા ત્યારે તેઓ ફરમાવતા:
તે દિવસ (ઉહુદનો દિવસ) સંપૂર્ણપણે તલ્હાનો હતો. જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ પાસે આવનાર હું પહેલો વ્યક્તિ હતો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે મને અને હઝરત અબૂ-ઉબૈદાહ બિન જર્રાહ (રઝિ.)ને ફરમાવ્યું: જાઓ અને તમારા ભાઈ (તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ) ને જુઓ, જ્યારે અમે તેમને જોયા, ત્યારે દુશ્મનના હુમલા અને તીરથી તેમના શરીર પર સિત્તેરથી વધુ ઘા હતા અને તેમની એક આંગળી પણ કપાઈ ગઈ હતી; તેથી અમે તરત જ તેમના ઘાવની સારવાર કરી.