
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ﴿٤﴾ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ﴿٥﴾
તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે તે ફેલાય જાય (૩) ગાંઠોમાં ફૂંક મારવા વાળીઓના શરથી (૪) અને હસદ (ઈર્ષ્યા) કરવા વાળાના શરથી, જ્યારે તે હસદ કરવા લાગે (૫)
(પનાહ= શરણ, બચાવ, હિફાજત)
(શર = દુષ્ટતા, બુરાઈ, શરારત)
તફસીર
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾
તમે (મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) કહી દો કે હું સવારના રબની પનાહ (શરણ) માંગું છું (૧)
આ આયતે-કરીમામાં અલ્લાહ તઆલાએ ખાસ કરીને “ફલક” (સવાર) શબ્દનો ઉલ્લેખ કર્યો છે, જેનો અર્થ થાય છે “તુલૂ’-એ-ફજરનો સમય”, જ્યારે અંધકાર પછી રોશની દેખાય છે.
આમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ અને ઉમ્મત માટે સંદેશ છે કે જે રીતે રાતના અંધકાર પછી દિવસની રોશની આવે છે, તેવી જ રીતે, સખ્તી અને મુશ્કેલી પછી, આસાની અને અલ્લાહ તઆલાની મદદ અવશ્ય આવે છે અને જ્યારે અલ્લાહ તઆલાની મદદ આવે છે ત્યારે તે બધા અંધકારને દૂર કરે છે અને સર્વત્ર રોશની ફેલાવી દે છે.
તેથી, મુશ્કેલીઓ, પરેશાનીઓ અને મુસીબતોના સમયે, ઇન્સાને અલ્લાહ તઆલા તરફ વળવું જોઈએ અને અલ્લાહ તઆલા તરફ પાછા ફરવું જોઈએ અને અલ્લાહની રહમતથી ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં.
“ફલક” શબ્દનો બીજો અર્થ
કેટલાક મુફસ્સિર કહે છે કે ‘ફલક’ શબ્દ થી મતલબ જહન્નમની એક ખીણ છે જે એટલી ખતરનાક અને ભયાનક છે કે જહન્નમ પોતે દરરોજ અલ્લાહ તઆલાની પનાહ માંગે છે. આના પરથી માણસ સારી રીતે કલ્પના કરી શકે છે કે જે લોકોને આ જહન્નમની ખીણમાં ફેંકી દેવામાં આવશે તેમને કેટલી આકરી સજા આપવામાં આવશે.
તેથી, જ્યારે અલ્લાહ તઆલાએ આ જહન્નમની ખીણનો ઉલ્લેખ કર્યો છે અને તે અલ્લાહ તઆલા આ ખીણનો રબ છે, ત્યારે તે સૂચવે છે કે જ્યારે અલ્લાહ તઆલા આવી મુશ્કેલીઓ, પીડાદાયક વસ્તુઓ અને તકલીફો નો ખાલિક઼ (સર્જક) છે કે તેનાથી વધુ ખરાબ કોઈ પણ મુસીબત અને પરેશાની નથી તો ઇન્સાને સમજવું જોઈએ કે અલ્લાહ તઆલા તરફ પાછા ફરવા સિવાય તેના માટે કોઈ પનાહની જગ્યા (આશ્રય સ્થાન) નથી. માત્ર અલ્લાહ તઆલા પાસે જ બધી સમસ્યાઓનો ઉકેલ, તમામ સવાલોના જવાબ અને તમામ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.
مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾
(હું પનાહ માંગું છું) તમામ મખ્લૂકના શરથી.
આ આયત-એ-કરીમામાં એવી દરેક સમસ્યા કે શરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની કલ્પના ઇન્સાનના કાબૂમાં છે અથવા તેની કાબૂની બહાર છે. દરેક પ્રકારની મુસીબત અને બુરાઈથી અલ્લાહ પાસેથી પનાહ માંગવામાં આવી છે.
ઉપરાંત, આ આયતે-શરીફામાં અલ્લાહ તઆલાએ આપણું ધ્યાન એ હકીકત તરફ દોર્યું છે કે તે ખૈરની સાથે-સાથે બુરાઈ અને શરનો પણ ખાલિક છે; તેથી, તે બુરાઈ અને શરનો સર્જનહાર હોવાથી, આપણે બુરાઈ અને શરથી છૂટકારો મેળવવા માટે તેની પનાહ માંગવી જોઈએ; તેથી, જ્યારે પણ આપણે મખ્લૂકના શરથી પનાહ માંગીએ, ત્યારે આપણે સવારના રબની પનાહ લેવી જોઈએ.
વધુમાં, આ આયતમાં અલ્લાહ તઆલાએ આપણને યાદ અપાવ્યું છે કે જ્યારે દરેક વસ્તુ તેની રચના અને પૈદા કરેલ છે, તો પછી આપણી નજરમાં મુસીબત અને સમસ્યા ગમે તેટલી નાની કે મોટી કેમ ન હોય, આપણે યાદ રાખવું જોઈએ કે આ બધી તેની મખ્લૂક છે અને તેના પર તેની સંપૂર્ણ સત્તા અને કુદરત છે.
તેથી, માણસ ગમે તેટલી સમસ્યાઓ અને સંજોગોનો સામનો કરતો હોય, તેણે હારવું જોઈએ નહીં, બલકે તેણે તે હસ્તી અને ઝાત તરફ જોવું જોઈએ જેણે દરેક વસ્તુ પૈદા કરી છે અને દરેક વસ્તુ પર તેની સંપૂર્ણ કુદરત છે.
મુસલમાને એ ન ભૂલવું જોઈએ કે જે ઝાતમાં આ સમસ્યાને પૈદા કરવાની તાકાત છે તે તેનો અંત લાવવાની અને તેને સંપૂર્ણ પણે ખતમ કરવાની તાકાત પણ રાખે છે. ઘણી વખત, સમસ્યાઓ માણસ પર એટલી હદે હાવી થઈ જાય છે કે તે ભૂલી જાય છે કે અમારો એક ખાલિક છે જે દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત રાખે છે.
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣﴾ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ﴿٤﴾ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ﴿٥﴾
“અને (હું પનાહ માંગું છું) અંધારી રાતના શર (બુરાઈ)થી, જ્યારે તે ફેલાઈ જાય (૩). ગાંઠોમાં ફૂંક મારવા વાળીઓ (જાદુગરણીઓ)ના શરથી (૪). અને હસદ (ઈર્ષ્યા) કરવા વાળાના શરથી, જ્યારે તે હસદ કરવા લાગે (૫).”
અગાઉની આયતે-કરીમામાં, અલ્લાહ તઆલા આપણને દરેક પ્રકારની પરેશાની અને શરથી તેમની પાસે પનાહ લેવાનું શીખવ્યું. આ આયતે-કરીમામાં, અલ્લાહ તઆલા આપણને આ ત્રણ બુરાઈઓથી ખાસ પનાહ (શરણ) લેવાનું શીખવી રહ્યા છે.
ઉલમા-એ-કિરામ જણાવે છે કે આ ત્રણેય બુરાઈઓનો ખાસ ઉલ્લેખ કરવા પાછળનું એક કારણ એ હોઈ શકે છે કે આ ત્રણેયને આ કિસ્સામાં આપણે જોઈ શકે છે, જેના કારણે આ બે સૂરતો ઊતરી.
આ ત્રણ બુરાઈ અને મેલીવિદ્યા વચ્ચેનું જોડાણ
કાળી રાતની બુરાઈ અને તેના શરનો (અનિષ્ટનો) ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આ જાદુ રાત્રે કરવામાં આવ્યો હતો.
ગાંઠો પર ફૂંક મારનારા સ્ત્રીઓની બુરાઈ અને તેમના શરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે લબીદ બિન-આ’સમની પુત્રીઓ પણ જાદુ કરવા વાળાઓમાં શામેલ હતી જે જાદુ કર્યા પછી ગાંઠો પર ફૂંક મારતી હતી.
હસદની ખરાબી અને તેના શરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે આજ હસદે યહૂદીઓને જાદુ કરવા પર મજબૂર કર્યા હતા અને તેઓ આ ન ચાહતા હતા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ તેમના મકસદ અને મિશન (એટલે કે ઈસ્લામ ફેલાવવામાં) સફળ થાય.
તેથી, ખાસ કરીને ત્રણ પ્રકારની બુરાઈ અને શરથી અલ્લાહની પનાહ માંગવામાં આવી છે:
(1) રાત્રિની ખરાબી અને શરથી, જ્યારે તેનો અંધકાર ફેલાય જાય.
(2) ગાંઠો પર ફૂંક મારતી સ્ત્રીઓની બુરાઈ અને શરથી (જાદુ-ટોના કરવા માટે ફૂંક મારતી).
(3) હસદ કરનારની બુરાઈ અને શરથી, જ્યારે હસદ કરવા લાગે.
વચલા શર અને બીજા શરોમાં ફરક
ઉપર ઝિક્ર કરવામાં આવેલી આયતોમાં ત્રણ પ્રકારના શર (બુરાઈ)થી પનાહ માંગવામાં આવી છે; પરંતુ તેમની વચ્ચે એક ફરક રાખવામાં આવ્યો છે કે પહેલા અને ત્રીજા શરને એક શરત (કૈદ) સાથે બયાન કરવામાં આવ્યા છે.
પહેલું શર (રાતની બુરાઈ): આને “إِذَا وَقَبَ” (જ્યારે અંધારું છવાઈ જાય)ની કૈદ સાથે ઝિક્ર કરવામાં આવ્યું છે. ત્રીજું શર (હસદ કરવા વાળાની બુરાઈ): આને “إِذَا حَسَدَ” (જ્યારે તે હસદ કરવા લાગે)ની કૈદ સાથે ઝિક્ર કરવામાં આવ્યું છે. બીજું શર (જાદુ): આની સાથે કોઈ શરત કે કૈદ લગાડવામાં આવી નથી.
આનું કારણ એ છે: રાતની બુરાઈ અને તેની અસર તેના અંધારા સુધી જ મહદૂદ (સીમિત) હોય છે; કેમ કે સવાર થયા પછી જ્યારે અંધારું છવાઈ જવાનું બંધ થઈ જાય છે, ત્યારે રાતની બુરાઈ અને તેનો શર ખતમ થઈ જાય છે.
ચોરોના હુમલા અને જાત-જાતની મખ્લૂક તથા જાનવરો તરફથી થતા નુકસાનો પણ આમ રીતે રાતના સમયે થાય છે; તેથી જ્યારે રાતની બુરાઈથી અલ્લાહ ત’આલાની પનાહ માંગવામાં આવે છે, તો તેની અંદર તે તમામ નુકસાનો અને બુરાઈઓ દાખલ થઈ જાય છે.
એવી જ રીતે, હસદ કરવા વાળાનો શર તે સમયે સામે આવે છે, જ્યારે તે પોતાનો હસદ ઝાહિર કરે છે; વર્ના તે પોતાના હસદના કારણે પોતે જ (અંદર ને અંદર) બળતો રહે છે અને જેના પર હસદ કરવામાં આવી રહ્યો હોય, તેના પર આની કોઈ અસર પડતી નથી. એટલા માટે જ હસદ કરવા વાળાથી તે સમયે હિફાઝત અને પનાહ માંગવામાં આવે છે, જ્યારે તે પોતાના હસદને ઝાહિર કરે છે; કેમ કે આ જ તે સમય હોય છે જ્યારે તે બીજાઓને તકલીફ પહોંચાડે છે.
જ્યાં સુધી જાદુનો સવાલ છે, તો આ રાત હોય કે દિવસ, કોઈપણ સમયે ઇન્સાન પર અસર કરી શકે છે; એટલા માટે આ બુરાઈ સાથે કોઈ કૈદ કે શરત બયાન કરવામાં આવી નથી.
શર (બુરાઈ) ના બે પાયાના સબબો
હાફિઝ ઇબ્નુલ-ક઼ય્યિમ રહ઼િમહુલ્લાહ આ આયતોની તફસીર કરતા લખે છે કે જો તમામ બુરાઈઓ અને શર (ચાહે તે જિસ્માની હોય કે રૂહાની)ના સબબ પર ગૌર કરવામાં આવે, તો તે બે વસ્તુઓમાં મુન્હસિર (સીમિત) થાય છે:
1. જિસ્માની તકલીફો અને આફતો
2. રૂહાની તકલીફો અને આફતો
જિસ્માની તકલીફનો સબબ જિસ્માની હોય છે અને રૂહાની તકલીફનો સબબ રૂહાની હોય છે.
દાખલા તરીકે: કુફ્ર, શિર્ક અને અલ્લાહ ત’આલાની નાફરમાની વગેરે રૂહાની ગિરાવટ અને ઝવાલના સબબો છે.
આ સૂરહની આયતે-કરીમા: “مِن شَرِّ مَا خَلَقَ” (દરેક તે વસ્તુના શરથી જે તેણે પેદા કરી) આ બંને પ્રકારના સબબોને શામેલ છે. આ આયતે-કરીમા આપણને એ તાલીમ આપે છે કે આપણે બુરાઈ અને શરના આ બંને સબબથી અલ્લાહ ત’આલાની પનાહ માંગતા રહીએ.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી